અનુક્રમણિકા
- ૧. કાળ અને સૂર્યપ્રકાશ દ્વારા વાતાવરણમાં પ્રક્ષેપિત થનારા મુખ્ય ગુણ
- ૨. કાળ અને સૂર્યપ્રકાશનું વ્યક્તિના મન પર થતું પરિણામ
- ૩. ભૂપ્રદેશો પર પડનારા સૂર્યપ્રકાશનો તે તે ઠેકાણે રહેલી અનિષ્ટ શક્તિઓ પર પડનારો પ્રભાવ
- ૪. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં સાધના નહીં હોવાથી સૂર્યપ્રકાશનો મનુષ્યને આધ્યાત્મિક લાભ ન થવો
- ૫. સૂર્યની કેટલીક દૈવી શક્તિઓની વિશિષ્ટતાઓ
- ૬. સૂર્યપ્રકાશને કારણે અનિષ્ટ શક્તિઓના અખંડિત ચાલુ રહેલાં કાર્યમાં બાધા નિર્માણ થવી
- ૭. સાંજના સમયથી અનિષ્ટ શક્તિઓનું કાર્ય પ્રભાવી રીતે ચાલુ થવું
- ૮. દેવતાઓ, સૂક્ષ્મરૂપમાંના ઋષિગણ અને મહાત્માઓનું કાર્ય
- ૯. સાધકને સદૈવ ભગવાનની સહાયતા મળતી હોવાથી તેને સૂર્યપ્રકાશ, સ્થળ અને કાળનું બંધન ન હોવું
‘પૃથ્વી પરના જે ભૂપ્રદેશો પર સૂર્યપ્રકાશ પડે છે, તે વેળાએ અને ત્યાર પછી કેટલોક સમય સૂર્યનો વાતાવરણમાંનો પ્રભાવ સૂક્ષ્મ રૂપે ટકી રહે છે; કારણકે સૂર્યપ્રકાશમાં દૈવી અસ્તિત્વ હોય છે. તેથી સૂક્ષ્મમાંની અનિષ્ટ શક્તિઓને સૂર્યપ્રકાશ પડ્યો હોય એવા ભૂપ્રદેશો પર કાર્ય કરવું કઠિન થાય છે. રાત્રે સૂર્યપ્રકાશનો તેવા ભૂપ્રદેશો પરનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો હોય છે. પરિણામે રાત્રે મનુષ્યને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ અધિક પ્રમાણમાં ભોગવવો પડે છે. તેનું વિશ્લેષણ આગળ આપેલું છે.
૧. કાળ અને સૂર્યપ્રકાશ દ્વારા વાતાવરણમાં પ્રક્ષેપિત થનારા મુખ્ય ગુણ
કાળ | સૂર્યપ્રકાશ દ્વારા વાતાવરણમાં પ્રક્ષેપિત થનારા મુખ્ય ગુણ |
૧. સૂર્યોદય | શુદ્ધ સત્ત્વગુણ |
૨. સવાર | સત્ત્વગુણ |
૩. બપોર | રજ-સત્ત્વગુણ |
૪. સાંજ | રજોગુણ |
નોંધ : રાત્રે ભૂપ્રદેશ પર સૂર્યપ્રકાશ અને તેનું પરિણામ સમાપ્ત થાય છે, ત્યારે વાતાવરણમાં તમોગુણ કાર્યરત હોય છે.
૨. કાળ અને સૂર્યપ્રકાશનું વ્યક્તિના મન પર થતું પરિણામ
કાળ | સૂર્યપ્રકાશનું વ્યક્તિના મન પર થતું પરિણામ |
૧. સૂર્યોદય | મન શાંત હોવું |
૨. સવાર | મન સંયમી હોવું |
૩. બપોર | મનના વિચારોનું પ્રમાણ વધવું |
૪. સાંજ | ભાવના, ઇચ્છા અને અહંના કાર્યને વેગ આવવો |
નોંધ : રાત્રે તમોગુણ વધવાથી માનવીના મનમાંની ભાવનાઓ અને ઇચ્છાઓનું પ્રમાણ વધીને પોતાના પરનું નિયંત્રણ ઓછું થાય છે.
૩. ભૂપ્રદેશો પર પડનારા સૂર્યપ્રકાશનો તે તે ઠેકાણે રહેલી અનિષ્ટ શક્તિઓ પર પડનારો પ્રભાવ
૩ અ. સૂર્યપ્રકાશમાં અનિષ્ટ શક્તિઓના સૂક્ષ્મદેહોને અગ્નિમાં દાઝ્યા જેવી વેદના થાય છે. તેથી અનિષ્ટ શક્તિ અજવાળું હોય ત્યારે વૃક્ષોની છાયામાં અથવા અંધારું હોય તેવા ઠેકાણે આશ્રય લે છે.
૩ આ. સૂર્યપ્રકાશમાંના તેજ થકી અનિષ્ટ શક્તિઓની શક્તિ ઓછી થાય છે. તેથી કેટલીક અનિષ્ટ શક્તિઓ સૂર્યપ્રકાશ હોય ત્યારે મનુષ્યને ત્રાસ આપવાને બદલે અંધારામાં રહીને પોતાની સાધના વધારવા ભણી ધ્યાન આપે છે.
૩ ઇ. સૂર્યપ્રકાશમાં અનંત દૈવી શક્તિઓનું અસ્તિત્વ હોય છે. તેથી પાતાળમાં રહેલી કેટલીક અનિષ્ટ શક્તિઓ અજવાળાના સમયે તેમનું કાર્ય કરવા માટે પૃથ્વી પર આવવાને બદલે પાતાળમાં રહીને પૃથ્વી પર આક્રમણો કરવા પર ભાર મૂકે છે.
૩ ઈ. વ્યક્તિને ભૂત અથવા પિશાચની બાધા સૂર્યપ્રકાશમાં થવાનું પ્રમાણ ઓછું હોય છે. તે અંધારામાં અથવા છાંયડામાં મનુષ્યને વળગે છે.
૩ ઉ. દિવસે ‘સૂર્યપ્રકાશનો ત્રાસ થાય નહીં’, એ માટે અનિષ્ટ શક્તિઓ અંધારું હોય એવી જગા અથવા ભોંયરું હોય એવા માર્ગનો ઉપયોગ કરે છે. તેથી અનિષ્ટ શક્તિઓનો સૂર્યપ્રકાશ સાથે સીધો સંબંધ આવતો નથી.
૪. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં સાધના નહીં હોવાથી સૂર્યપ્રકાશનો મનુષ્યને આધ્યાત્મિક લાભ ન થવો
સૂર્યપ્રકાશમાં ‘તેજ અને અનંત પ્રકારની દૈવી શક્તિ’નો વાસ હોય છે. તે દૈવી શક્તિઓ મનુષ્યને શરીર, મન, બુદ્ધિ અને અધ્યાત્મની દૃષ્ટિએ બળ પ્રાપ્ત કરી આપે છે. તેથી સૂર્યને ‘બલોદેવતા’, એમ કહે છે. ‘સૂર્યનો મનુષ્યને સર્વાંગીણ લાભ થાય’, તે માટે સનાતન ધર્મમાં સૂર્યની ઉપાસનાને પુષ્કળ મહત્ત્વ આપેલું છે, ઉદા. સૂર્યને નમસ્કાર કરવા, તેને અર્ઘ્ય આપવું અને સૂર્યદેવતાનો જપ કરવો ઇત્યાદિ. સૂર્યની ઉપાસના કરવાથી તેમાની અનંત દૈવી શક્તિઓ મનુષ્યને જીવનમાં વિવિધ પ્રકારે સહાયતા કરે છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ છે; પરંતુ અહીંના મોટાભાગના જીવ ઉપાસના નહીં કરતા હોવાથી તેમને સૂર્યના અસ્તિત્વનો લાભ થતો નથી, તેમજ ભારતમાં રહેતા જીવોને આધ્યાત્મિક ત્રાસ થવાનું પ્રમાણ પણ વધારે છે.
૫. સૂર્યની કેટલીક દૈવી શક્તિઓની વિશિષ્ટતાઓ
સૂર્યમાં અનંત દૈવી શક્તિઓ છે. તેમાંની કેટલીક દૈવી શક્તિઓનાં નામ અને તેમનું વિશ્લેષણ નીચે આપેલું છે.
૫ અ. ‘સૂર્યપદ્મિની’
પદ્મિની શબ્દ ‘પુષ્પ’, એ અર્થે છે. સૂર્યની એક દૈવી શક્તિનો આકાર ફૂલ જેવો છે. તેનું કાર્ય ‘મનુષ્યને જીવવાની પ્રેરણા આપવી અને ઉત્સાહ આપવો’, એ છે. આ દૈવી શક્તિનું નિર્માણ સૂર્યથી થયું છે. તેથી તેને ‘સૂર્યપદ્મિની’, એમ કહે છે.
૫ આ. ‘સૂર્યદામિની’
અહીં દામિની આ શબ્દ ‘વિજયશ્રી’ એ અર્થે છે. સૂર્યની એક દૈવી શક્તિ મનુષ્યને વિજય પ્રાપ્ત કરાવી આપે છે. તેથી તેને ‘સૂર્યદામિની’, એમ કહે છે.
૫ ઇ. ‘સૂર્યનભા’
અહીં નભા શબ્દ ‘વ્યાપક’ એ અર્થે છે. સૂર્યની એક દૈવી શક્તિ વ્યાપક સ્વરૂપમાં કાર્ય કરે છે. તેને ‘સૂર્યનભા’ એમ કહે છે.
૫ ઈ. ‘સૂભા’ર્યપ્ર
અહીં પ્રભા શબ્દ ‘વિસ્તાર કરનારી’, એ અર્થમાં છે. સૂર્યની એક દૈવી શક્તિ તેના કાર્યનો વિસ્તાર કરે છે. તેને ‘સૂર્યપ્રભા’, એમ કહે છે.
૫ ઉ. ‘સૂર્યકાંતિ’
સૂર્યમાં રહેલી જે દૈવી શક્તિનું શરીર સૂર્ય પ્રમાણે તેજયુક્ત અથવા પ્રકાશમાન છે, તેને ‘સૂર્યકાંતિ’, એમ કહે છે. આ દૈવી શક્તિ ‘પ્રાણી અને પક્ષી’ની ત્વચાનું પોષણ કરે છે.
૫ ઊ. ‘સૂર્યકલા’
અહીં ‘કલા’ શબ્દ એ ‘રચના’સાથે સંબંધિત છે. સૂર્યની રચનાઓ, એટલે સૂર્યકિરણોની ગતિ, તેનું સ્વરૂપ અને તેમાંના રંગો સાથે સંબંધિત છે. સૂર્યના કાર્યને વિશિષ્ટ સ્વરૂપ પ્રાપ્ત કરી આપનારી દૈવી શક્તિને ‘સૂર્યકલા’ એમ કહે છે.
૬. સૂર્યપ્રકાશને કારણે અનિષ્ટ શક્તિઓના અખંડિત ચાલુ રહેલાં કાર્યમાં બાધા નિર્માણ થવી
અનિષ્ટ શક્તિઓને કાર્ય કરવા માટે દિવસ અથવા રાત્રિનું બંધન હોતું નથી. તેઓ અખંડ કાર્યરત હોય છે. તેઓ મનુષ્યને હંમેશાં ત્રાસ આપે છે; પરંતુ જ્યાં સુધી સૂર્યપ્રકાશ અને તેનો પ્રભાવ વાતાવરણમાં ટકી રહ્યો હોય છે, ત્યાં સુધી અનિષ્ટ શક્તિઓ દ્વારા મનુષ્યને થનારો આધ્યાત્મિક ત્રાસ કેટલાક પ્રમાણમાં ઓછો થાય છે.
૭. સાંજના સમયથી અનિષ્ટ શક્તિઓનું કાર્ય પ્રભાવી રીતે ચાલુ થવું
ભૂપ્રદેશ પરનો સૂર્યપ્રકાશનો પ્રભાવ જેમ સાંજ પછી અલ્પ થતો જાય છે, તેમ તેનો વ્યક્તિ પરનો પ્રભાવ પણ ઓછો થતો જાય છે. તેથી તે સમયે વ્યક્તિનું મન વધુને વધુ પ્રમાણમાં ચંચળ થવા લાગે છે. તેના મનમાં ઇચ્છા અને વાસનાનું કાર્ય વધવા લાગે છે. તેનો લાભ અનિષ્ટ શક્તિઓને થાય છે. અનિષ્ટ શક્તિ એવા વ્યક્તિઓ પર સૂક્ષ્મ માધ્યમ દ્વારા સહેલાઈથી આક્રમણો કરે છે અને એ વ્યક્તિને પોતાના નિયંત્રણ હેઠળ લે છે.
૮. દેવતાઓ, સૂક્ષ્મરૂપમાંના ઋષિગણ અને મહાત્માઓનું કાર્ય
દેવતાઓ, સૂક્ષ્મરૂપમાંના ઋષિગણ અને મહાત્માઓનો સૂક્ષ્મરૂપમાં અખંડ વાસ હોય છે. તેઓ મનુષ્યને સહાયતા કરવા માટે દિવસ-રાત્રિ સદૈવ તત્પર હોય છે; પરંતુ મનુષ્યની ઉપાસના ન હોવાથી તેને તેમનો આધ્યાત્મિક લાભ થતો નથી. પરિણામે વ્યક્તિને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ તીવ્ર સ્વરૂપમાં ભોગવવો પડે છે.
૯. સાધકને સદૈવ ભગવાનની સહાયતા મળતી હોવાથી તેને સૂર્યપ્રકાશ, સ્થળ અને કાળનું બંધન ન હોવું
સૂર્યપ્રકાશને કારણે મનુષ્યનું અનિષ્ટ શક્તિઓ સામે કેટલાક પ્રમાણમાં રક્ષણ થાય છે. એવા મનુષ્યના ત્રાસની તીવ્રતા દિવસ-રાત્રિનું નિસર્ગચક્ર, સ્થળ અને કાળ પર અવલંબિત હોય છે. આથી ઊલટું સાધક સતત ભગવાનના અનુસંધાનમાં હોય છે. તેથી તેને સતત ભગવાનની સહાયતા અને કૃપા પ્રાપ્ત થતી હોય છે. એવો સાધક સૂર્યપ્રકાશમાં હોય કે ન હોય, તે કોઈપણ દેશમાં હોય અથવા કોઈપણ સમય હોય, તેનું રક્ષણ ભગવાન સ્વયં કરતા હોય છે.’
– શ્રી. રામ હોનપ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.(૨૫.૬.૨૦૨૨)
અનિષ્ટ શક્તિ : વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે માનવીને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે. અગાઉના સમયમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો દ્વારા વિઘ્નો લાવવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે. ‘અથર્વવેદમાં અનેક ઠેકાણે અનિષ્ટ શક્તિ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચ તેમજ કરણી, જારણમારણનો પ્રતિબંધ કરવા માટે મંત્ર આપ્યા છે. અનિષ્ટ શક્તિઓના ત્રાસના નિવારણ માટે વિવિધ આધ્યાત્મિક ઉપાયો વેદ જેવા ધર્મગ્રંથોમાં કહ્યા છે.
સૂક્ષ્મ : વ્યક્તિના સ્થૂલ એટલે પ્રત્યક્ષ દેખાઈ આવનારા અવયવો નાક, કાન, આંખો, જીભ અને ત્વચા એ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલે પારનું એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરી ચૂકેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ જણાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.