ભક્તિયોગની આધ્‍યાત્‍મિક ગુણ વિશેષતાઓ

Article also available in :

અનુક્રમણિકા

‘અધ્‍યાત્‍મમાં જ્ઞાનયોગ, ધ્‍યાનયોગ, કર્મયોગ, હઠયોગ, શક્તિપાતયોગ, નામસંકીર્તનયોગ અને ભક્તિયોગ એવા વિવિધ યોગમાર્ગો છે. વિવિધ યોગમાર્ગ અનુસાર સાધના કરવા માટે આવશ્‍યક રહેલા ગુણો અને તેના દ્વારા વિકસિત થનારા ગુણો નીચે પ્રમાણે છે.

 

૧. વિવિધ યોગમાર્ગોનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ !

૧ અ. વિવિધ યોગમાર્ગોનું કર્મ પર થનારું પરિણામ

જ્ઞાનયોગથી પરિપૂર્ણતા, ધ્‍યાનયોગથી કર્મમાં એકાગ્રતા અને અચૂકતા, કર્મયોગથી દૃઢતા અને કૃતિશીલતા અને ભક્તિયોગથી ભાવપૂર્ણતા.

 

૨. ભક્તિયોગનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ

‘ભક્તિના માધ્‍યમ દ્વારા ઈશ્‍વર સાથે અનુસંધાન સાધ્‍ય કરવું’, આ ભક્તિયોગની વિશેષતા છે. ભક્તિયોગી સંતોમાં ઈશ્‍વર વિશે ભાવ અને ભક્તિ, સેવાવૃત્તિ, ત્‍યાગ, પ્રીતિ, પરેચ્‍છાથી વર્તવું, અહં અલ્‍પ હોવો ઇત્‍યાદિ ગુણવિશેષતાઓ પ્રકર્ષતાથી જોવા મળે છે.

૨ અ. ભક્તિમાર્ગી જીવમાં ભાવનું રૂપાંતર ભક્તિમાં અને પ્રેમભાવનું રૂપાંતર પ્રીતિમાં થઈ જવાથી તેના સાધનાનો પ્રવાસ સકામ સાધનાથી નિષ્‍કામ સાધના ભણી થઈને એને સંતપદ ઝડપથી પ્રાપ્‍ત થવું.

ભક્તિયોગથી સાધના કરનારા જીવમાં ભગવાન પ્રત્‍યે બાલકભાવ, સમર્પણભાવ, દાસ્‍યભાવ, સખ્‍યભાવ, સેવાભાવ ઇત્‍યાદિ અનેક પ્રકારના ભાવ હોય છે. આ ભાવના કારણે તેમનો સ્‍તર અલ્‍પ હોવા છતાં, તેમના ભાવના કારણે તેમના પરનું માયાનું અથવા અજ્ઞાનનું આવરણ દૂર થઈને એ ઈશ્‍વરના અનુસંધાનમાં તરત અને સહજતાથી રહી શકે છે. એવી જ રીતે ભક્તિમાર્ગી જીવમાં પ્રેમભાવ પણ હોય છે. તેથી તે પોતાના જ કોષમાં અટવાઈ જવાને બદલે બીજાનો વિચાર વધારે પ્રમાણમાં કરતો હોય છે. એવી રીતે ભક્તિમાર્ગી જીવ બીજાનો વિચાર કરીને સમષ્‍ટિ રૂપી ઈશ્‍વરના અનુસંધાનમાં રહેતો હોય છે. ભાવ અને પ્રેમભાવ આ બન્‍ને ગુણોના કારણે ભક્તિમાર્ગી જીવોની વ્‍યષ્‍ટિ સાધના સારી રીતે થઈને એમનો અહં પણ ઝડપથી અલ્‍પ થવા લાગે છે. પરિણામે તેના અંદરના ભાવના કારણે તે ઈશ્‍વરની ચૈતન્‍યલહેરો અને પ્રેમભાવના કારણે ઈશ્‍વરની આનંદલહેરો અધિક પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે. તેના ભાવના કારણે, ‘પ્રત્‍યેક કર્મનું કર્તાપણું પોતે લેવુ,’ અને પ્રેમભાવના કારણે, ‘અન્‍યો પાસેથી અનેક અપેક્ષાઓ કરવી’, આ અહંનાં સૂક્ષ્મ પાસાં ખરી પડે છે. તેથી ભક્તિમાર્ગી જીવની સકામ સાધના પૂર્ણ થઈને એની નિષ્‍કામ સાધનાનો આરંભ થાય છે.

તેથી તેનું વ્‍યષ્‍ટિ સાધનાના સ્‍તર પરનું ભાવનું રૂપાંતર ભક્તિમાં અને સમષ્‍ટિ સાધનાના અંતર્ગત પ્રેમભાવનું રૂપાંતર પ્રીતિમાં થઈને તે ઝડપથી સંતપદ પ્રાપ્‍ત કરે છે. ભક્તિમાર્ગી જીવનો ભાવ અને ભક્તિ આ ગુણોના કારણે તે ઈશ્‍વરના સૂક્ષ્મરૂપ સાથે અને પ્રેમભાવ તેમજ પ્રીતિ આ ગુણોના કારણે તે ઈશ્‍વરના વ્‍યાપક રૂપ સાથે ઝડપથી એકરૂપ થાય છે. તેથી ઈશ્‍વરને આવો ભક્ત પુષ્‍કળ પ્રિય હોય છે.

ઉદા. પ.પૂ. ભક્તરાજ મહારાજની અસીમ ભક્તિને કારણે તેમણે પંઢરપુરના પાંડુરંગને ખવડાવેલો પેંડો તેમણે (પાંડુરંગે) તરતજ ગ્રહણ કર્યો. એવીજ રીતે સંત એકનાથ મહારાજની અસીમ ભક્તિના કારણે જ્‍યારે તેઓ પૂજાઘરની પિત્તળની બાલકૃષ્‍ણની મૂર્તિને માખણ ખવડાવતા હતા ત્‍યારે, પિત્તળની મૂર્તિના બાલકૃષ્‍ણે એનો જમણો હાથ ઉપર કર્યો. એજ રીતે સંત એકનાથ મહારાજની અંદરની પ્રીતિના કારણે એમને રણમાં પાણી માટે તરસી રહેલા ગધેડાની અંદરના ઈશ્‍વરી અંશની અનુભૂતિ થઈ અને એમના મનમાં કરુણા ભાવ જાગૃત થયો. તે માટે તેમણે કાશીથી લાવેલું ગંગાનું પાણી તરસ્‍યા ગધેડાને પિવડાવ્‍યું. તેવીજ રીતે જ્‍યારે એક કૂતરો રોટલાનો ટુકડો લઈને દોડ્યો, ‘ત્‍યારે કૂતરાની અંદરના ઈશ્‍વરી અંશને સૂકો રોટલો ખાવો ન પડે’ એથી એને ઘી આપવા માટે સંત નામદેવ ઘીની વાટકી લઈને તે કૂતરાની પાછળ દોડી ગયા.

૨ આ. ભક્તિમાર્ગી જીવોમાં રહેલી સેવાવૃત્તિના કારણે સેવકભાવ અને દાસ્‍યભાવ જાગૃત થવાથી તેમનો અહં ઓછો થવો

પ્રગટ (સ્‍થૂળ અને વ્‍યક્ત) અને અપ્રગટ (સૂક્ષ્મ અને અવ્‍યક્ત) એ અહંના બે પ્રમુખ પ્રકાર છે. અન્‍ય યોગમાર્ગોની તુલનામાં ભક્તિમાર્ગી જીવમાં સેવાભાવ અધિક પ્રમાણમાં હોય છે. તેમજ એ અન્‍યોની, ગુરુની અને દેવોની સેવા મન:પૂર્વક કરતો હોય છે. તેથી તેનો ‘પ્રગટ’ સ્‍વરૂપનો અહં ઝડપથી અલ્‍પ થાય છે. જેમ જેમ તેનો સ્‍તર વધતો જાય છે, તેમ તેમ તેનામાંના સેવાભાવનું રૂપાંતર ‘દાસ્‍યભક્તિ’માં અથવા ‘સેવાભક્તિ’માં થઈને એનામાં રહેલો અપ્રગટ સ્‍વરૂપનો અહં ઝડપથી અલ્‍પ થાય છે. આ રીતે અન્‍ય યોગમાર્ગી જીવોની તુલનામાં ભક્તિમાર્ગી જીવોનો અહં ઝડપથી અલ્‍પ થાય છે. ક્યારેક ભક્તિમાર્ગી જીવ પરનું અવિદ્યાનું આવરણ દૂર ન થવાથી એને ‘સ્‍વયં શ્રેષ્‍ઠતમ ભક્તિ કરે છે’, તેવો ભક્તિનો સૂક્ષ્મ અહં નિર્માણ થઈ શકે છે; પણ એના પર રહેલી શ્રીગુરુની કૃપાના કારણે એનો સૂક્ષ્મ અહં પણ નષ્‍ટ થાય છે.

૨ ઇ. સમર્પણભાવ અને કૃતજ્ઞતાભાવના કારણે ભક્તિમાર્ગી જીવમાં ઈશ્‍વર પ્રત્‍યેનો સંપૂર્ણ શરણાગતભાવ જાગૃત થઈને તેના અહંનો લય થવો

ભક્તિમાર્ગી જીવ ઈશ્‍વરને તરત શરણ જઈને તેના કાયા, વાચા અને મનથી કરેલા બધા જ કર્મો તે ઈશ્‍વરને સહજતાથી અર્પણ કરે છે. તેથી આ કર્મોના કર્તાપણાનો અહંકાર અલ્‍પ થાય છે. એવીજ રીતે પ્રત્‍યેક કર્મ ઈશ્‍વરની ઇચ્‍છાથી થતું હોવાથી એના દ્વારા થયેલા સારા કર્મનું કર્તાપણું એ પોતે લેવાને બદલે એનું શ્રેય ઈશ્‍વરને આપે છે. તેથી તેનો ઈશ્‍વર પ્રત્‍યે કૃતજ્ઞતાભાવ નિર્માણ થાય છે. સમર્પણભાવ અને કૃતજ્ઞતાભાવના કારણે ભક્તિમાર્ગી જીવ પોતાનો માન મોભો, પ્રતિષ્‍ઠા, પ્રતિભા, કર્તાપણું એવું બધુજ છોડીને ઈશ્‍વરને સંપૂર્ણ શરણે જાય છે. તેથી તેનામાં સંપૂર્ણ શરણાગતભાવ નિર્માણ થઈને એના અહંનો લય થાય છે. ઉદા. સંત તુકારામ મહારાજ ગરીબ હોવા છતાંય ઈશ્‍વર પ્રત્‍યે કૃતજ્ઞ હતા. એમનું પ્રત્‍યેક કર્મ ઈશ્‍વરને સમર્પિત થતું હતું.

જ્‍યારે દેહુના શ્રી વિઠ્ઠલ મંદિરમાં તેમના કિર્તનમાં રમમાણ થયેલા છત્રપતિ શિવાજી મહારાજને પકડવા માટે મુગલ સૈનિકો આવ્‍યા ત્‍યારે સંત તુકારામ મહારાજ શ્રી વિઠ્ઠલને સંપૂર્ણ શરણે ગયા. ત્‍યારે તેમની આર્ત ભાવથી થયેલી પ્રાર્થના સાંભળીને શ્રી વિઠ્ઠલ તેમના પર પ્રસન્‍ન થયા, અને તેમણે શિવાજી મહારાજનાં અનેક રૂપો નિર્માણ કર્યા. તેથી મુગલ સૈનિકોને શિવાજી મહારાજનું મૂળ રૂપ ક્યાં છે ? તે સમજાયું નહી અને સાચા શિવાજી મહારાજ મુઘલ સૈનિકોના ઘેરામાંથી બહાર જઈ શક્યા. આ ઉદાહરણ પરથી વિવિધ પ્રકારના ભાવોમાં શરણાગતભાવ સર્વશ્રેષ્‍ઠ હોવાનો પરચો મળ્‍યો.

૨ ઈ. ભક્તિમાર્ગી જીવ પરેચ્‍છાથી રહેતો હોવાથી એનો મનોલય ઝડપથી થઈને એને સંતપદ વહેલું પ્રાપ્‍ત થવું અને બાકીનું જીવન ઈશ્‍વરેચ્‍છાથી જીવવું

ભક્તિમાર્ગી જીવ સ્‍વેચ્‍છા રાખવાને બદલે પરેચ્‍છાથી વ્‍યવહાર કરવાને પ્રાથમિકતા આપે છે. તેથી એનો મનોલય ઝડપથી થઈને એનું માર્ગક્રમણ સંતપદ ભણી થાય છે. સંતપદ પ્રાપ્‍ત કર્યા પછી ભક્તિમાર્ગી જીવને એનામાં રહેલી ભક્તિના કારણે ઈશ્‍વરેચ્‍છાનું જ્ઞાન ઝડપથી પ્રાપ્‍ત થાય છે અને તે પોતાનું શેષ જીવન ઈશ્‍વરેચ્‍છાથી જીવવા લાગે છે.

૨ ઉ. ભક્તિયોગના વિવિધ તબક્કા

ભગવાન પરનો વિશ્‍વાસ, શ્રદ્ધા, વ્‍યક્ત ભાવ,અવ્‍યક્ત ભાવ, સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિ અને જ્ઞાનોત્તર ભક્તિ એવા વિવિધ આધ્‍યાત્‍મિક તબક્કા હોય છે.

૨ ઊ. ભક્તિયોગ અંતર્ગત સાધનાના પ્રકાર અને સ્‍તર

ભક્તિયોગ અંતર્ગત સાધનાના, ‘કર્મકાંડ, ઉપાસનાકાંડ અને ભક્તિકાંડ’, એવા વિવિધ સ્‍તર અને પ્રકાર હોય છે. એવીજ રીતે ભક્તિયોગ અંતર્ગત સકામ સાધના અને નિષ્‍કામ સાધના એવા પણ બે પ્રમુખ પ્રકાર છે. ૩૦ થી ૪૫ ટકા સ્‍તર ધરાવતો ભક્તિયોગી સાધક કર્મકાંડ અંતર્ગત ‘મંત્રયોગ’ની સગુણ સ્‍તરની સાધના કરતો હોય છે. તેથી તેનો સાધનાનો પ્રવાસ સ્‍થૂળમાંથી સૂક્ષ્મ ભણી આરંભ થાય છે. જ્‍યારે એનો સ્‍તર વધીને ૫૦ ટકા થાય છે, ત્‍યારે તે ઉપાસનાકાંડ અંતર્ગત નામસંકિર્તનયોગ અનુસાર નામજપ કરવા લાગે છે. જ્‍યારે એનો સ્‍તર વધીને ૭૦ ટકા થાય છે ત્‍યારે તેનો આધ્‍યાત્‍મિક પ્રવાસ ઉપાસનાકાંડથી ભક્તિકાંડ ભણી આરંભ થાય છે. ત્‍યારે એનો સાધનાનો પ્રવાસ સૂક્ષ્મથી સૂક્ષ્મતર ભણી આરંભ થાય છે. આ સ્‍તરે પ્રથમ એ ઈશ્‍વરની સગુણ ભક્તિ કરવા લાગે છે. તેથી એને સગુણ સ્‍થૂળદેહધારી સંત અથવા ગુરુ અને ઈશ્‍વરનું સગુણ રૂપ વધારે ગમવા લાગે છે. તેથી એને સલોકમુક્તિ, સરૂપ મુક્તિ જેવી વિવિધ પ્રકારની મુક્તિ મળવા લાગે છે. ત્‍યાર પછી તેની સગુણ ભક્તિ પર પ્રસન્‍ન થઈને શ્રીગુરુ એના પર કૃપા કરે છે. તેથી એના ભક્તિનું માર્ગક્રમણ સગુણથી નિર્ગુણ ભણી આરંભ થાય છે અને તે નિષ્‍કામ અને નિર્ગુણ ભક્તિ કરવા લાગે છે. આવી રીતે ભક્તિમાર્ગી સંતોની સાધનાનું માર્ગક્રમણ મુક્તિથી મોક્ષ ભણી આરંભ થાય છે.

સંદર્ભ – સનાતનનો ગ્રંથ : ‘ભાવ અને ભાવના પ્રકાર’ (અંગ્રેજી અને હિંદી ભાષામાં ઉપલબ્ધ)

 

૩. ભક્તિયોગ અને જ્ઞાનયોગ

ભક્તિયોગમાં મનને આનંદ જણાય છે, જ્‍યારે જ્ઞાનયોગમાં મળેલા જ્ઞાનથી બુદ્ધિને આનંદ જણાય છે.

– સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે (૨૭.૬.૨૦૨૩)

 

૪. ભક્તિયોગનું અનન્‍યસાધારણ મહત્ત્વ

મહર્ષિ વ્યાસે જ્ઞાનથી પરિપૂર્ણ એવા ગ્રંથોની નિર્મિતિ કરીને વેદોનું ચાર ભાગમાં વિભાજન કર્યું, ‘મહાભારત’ નામનો વિશ્‍વનો સૌથી મહાન કાવ્‍યરૂપી ગ્રંથ લખ્‍યો.

‘व्‍यासोच्‍छिष्ठम् जगत् सर्वम् ।’

અર્થ : એનો અર્થ ‘મહર્ષિ વ્યાસે સંપૂર્ણ વિશ્‍વ એઠું કર્યું છે.’ એટલે એમને એટલા બધા વિવિધ વિષયો પર લખાણ કર્યું છે, કે એનાથી વધારે કોઈ કાંઈ લખી જ શકે નહીં. એવું મહર્ષિ વ્‍યાસનું મહત્ત્વ હોવાને કારણે મહર્ષિ વ્‍યાસ સંપૂર્ણ વિશ્‍વના ગુરુ છે.

એવું હોવા છતાંય એમને મન:શાંતિ મળતી ન હતી. ત્‍યારે દેવર્ષિ નારદે તેમને ‘જ્ઞાનયોગના તાત્ત્વિક જ્ઞાનથી કેવળ બૌદ્ધિક સમાધાન મળે છે, પણ ભક્તિ કરવાથી મન:શાંતિ મળે છે’, એ પ્રમાણે મૂલ્‍યવાન ઉપદેશ કર્યો. તે પ્રમાણે મહર્ષિ વ્‍યાસે ભક્તિરસમાં રંગેલો શ્રીવિષ્‍ણુના લીલાઓનું વર્ણન કરતો ‘શ્રીમદ્‌ભાગવત’ આ અદ્વિતીય ગ્રંથ લખ્‍યો. એવી જ રીતે વિવિધ દેવતાઓની લીલાઓનું વર્ણન કરનારા ૧૮ પુરાણો પણ લખ્‍યા. ભક્તિમય સાહિત્‍યની રચનાને કારણે વ્‍યાસજીના મનની શુષ્‍કતા નષ્‍ટ થઈને એમના મનમાં પરમ પવિત્ર એવા ભક્તિના ઝરણાનો ઉગમ થયો અને એમને મનઃશાંતિ મળી. આ ઉદાહરણથી ભક્તિમાર્ગની શ્રેષ્‍ઠતા આપણા ધ્‍યાનમાં આવે છે.

કુ.મધુરા ભોસલે

 

૫. ભક્તિયોગને શ્રીગુરુકૃપાનો સાથ મળવાથી ભક્તને થયેલો સૂક્ષ્મ અહંકાર શ્રીગુરુકૃપાથી અથવા દેવરૂપી ગુરુ તત્ત્વથી નષ્‍ટ થવો !

ભક્તિમાર્ગથી સાધના કરનારા જીવોને ભક્તિનો અહંકાર થઈ શકે છે, તેવીજ રીતે તે ગુરુ અને ઈશ્‍વરના સગુણ રૂપમાં અટવાઈ  જવાનો ભય રહે છે. તેથી ભક્તિમાર્ગી જીવ પર જ્‍યારે શ્રીગુરુની કૃપા થાય છે, ત્‍યારે તેનો સૂક્ષ્મ અહંકાર નષ્‍ટ થાય છે.

૫ અ. શ્રીવિષ્‍ણુએ નારદને વાનરમુખી બનાવીને તેમનો અહંકાર નષ્‍ટ કરવો

એકવાર નારદને તેના બ્રહ્મચર્યવ્રતનો અહંકાર થયો હતો. તે નષ્‍ટ કરવા માટે શ્રીવિષ્‍ણુએ એક લીલા કરી. શ્રીવિષ્‍ણુની કૃપાથી દેવર્ષિ નારદના મનમાં ‘વિશ્‍વમોહિની’ આ રાજકુમારીનો સ્‍વયંવર જીતીને તેની સાથે વિવાહ કરવાની પ્રબળ ઇચ્‍છા થઈ. તે માટે એમને અન્‍ય રાજકુમારો કરતાં પણ સુંદર રૂપ પ્રાપ્‍ત થાય તે માટે તેમણે શ્રીવિષ્‍ણુને પ્રાર્થના કરી. શ્રીવિષ્‍ણુએ તેમના પર કૃપા કરી અને તેમનું ગર્વહરણ કરવા માટે તેમને વાનરમુખ પ્રદાન કર્યું. તેથી સ્‍વયંવરના સ્‍થળ પર બધાએ નારદની ઉપેક્ષા કરીને તેમની ટીખળ કરી. ત્યાર પછી તેઓ ગુસ્સામાં વૈકુંઠમાં આવ્યા ત્યારે શ્રીવિષ્‍ણુએ તેમને વાનરમુખ આપવાનો હેતુ કહ્યો. ત્‍યારે એમનો ગુસ્‍સો શાંત થયો અને તેમનો અહંકાર નષ્‍ટ થયો.

૫ આ. શ્રીકૃષ્‍ણની કૃપાથી ગોપીઓનો સૂક્ષ્મ અહં નષ્‍ટ થવો

રાસલીલાના સમયે શ્રીકૃષ્‍ણએ પ્રત્‍યેક ગોપી સાથે એક એક રૂપ ધારણ કરીને પ્રત્‍યેક ગોપી સાથે રાસલીલા કરી. તેથી પ્રત્‍યેક ગોપીને થયું કે, શ્રીકૃષ્‍ણ કેવળ એની સાથે જ છે. ગોપીઓને અહંકાર થયેલો ધ્‍યાનમાં આવતાજ તેમની સાથેનું શ્રીકૃષ્‍ણનું રૂપ અદૃશ્‍ય થયું. તેથી ગોપીઓ શ્રીકૃષ્‍ણને સંપૂર્ણ વૃંદાવનમાં શોધવા લાગ્‍યા; પણ તેમને શ્રીકૃષ્‍ણ ક્યાંય દેખાયા નહી. આખરે તેઓ થાકીને યમુના કાંઠે બેસીને વિલાપ કરવા લાગ્‍યા અને આર્તતાથી શ્રીકૃષ્‍ણને પોકારવા લાગ્‍યા. ત્‍યારપછી શ્રીકૃષ્‍ણ ભગવાને એમના પર કૃપા કરી અને તેમણે પાછા પ્રત્‍યેક ગોપી સાથે રૂપ ધારણ કરીને શેષ રાસલીલા પૂર્ણ કરી.

૫ ઇ. ગુરુદેવ વિસોબા ખેચરની કૃપાથી સંત નામદેવનું ગર્વહરણ થવું

એકવાર સહુ વિઠ્ઠલભક્ત સંતો સંત ગોરોબાના ઘરે એકત્રિત થયા. ત્‍યારે ‘પ્રત્‍યેક સંત સાધનામાં કેટલા પરિપક્વ છે ?’, તે જોવા માટે સંત ગોરા કુંભાર જેવી રીતે ભટ્ટીમાં શેકીને તૈયાર થયેલું માટલું સારું શેકાઈ ગયું છે ને એ ચકાસવા માટે એના પર લાકડી ઠોકીને ચકાસે છે, એવી રીતે પ્રત્‍યેક સંતના માથા પર લાકડી ઠોકીને જોતા હતા. અન્‍ય સંતોના સંદર્ભમાં સંત ગોરોબાએ ‘તમારું માટલું પાકું છે’, એવું જણાવ્‍યું; પણ સંત નામદેવને તેઓ પ્રત્‍યક્ષ વિઠ્ઠલ સાથે વાત કરે છે, એનો એમને સૂક્ષ્મ અહં હોવાથી સંત ગોરોબાએ કહ્યું, ‘તમારું માટલું કાચું છે.’ ત્‍યારે સંત નામદેવને અતિશય ગુસ્‍સો આવ્‍યો અને તેઓ ત્‍યાંથી નીકળીને તરતજ પંઢરપુરના શ્રી વિઠ્ઠલ મંદિરમાં આવ્‍યા. ત્‍યારે શ્રી વિઠ્ઠલે એમને કહયું, “સંત ગોરોબાનું નિદાન યોગ્‍ય છે. તને ભક્તિનો અહંકાર થયો છે. એ દૂર કરવા માટે તું ઔંઢા નાગનાથ ખાતેના શિવમંદિરમાં જા.” તે પ્રમાણે સંત નામદેવ સંત વિસોબા ખેચરને મળ્‍યા અને તેમણે સંત વિસોબાને તેમના ગુરુ માન્‍યા. ત્‍યાર પછી સંત નામદેવ પર ગુરુદેવ સંત વિસોબા ખેચરની કૃપા થવાથી સંત નામદેવનો ભક્તિનો સૂક્ષ્મ અહંકાર નષ્‍ટ થયો.

૫ ઈ. શિવના સગુણ રૂપમાં અટવાયેલા સંત નરહરી સોનાર પર થયેલી શિવજીની કૃપાથી તેમનો સૂક્ષ્મ અહંકાર નષ્‍ટ થવો અને તેમની શ્રી વિઠ્ઠલ પરની ભક્તિ દૃઢ થવી

સંત નરહરી સોનાર પંઢરપુરના પરમ શિવભક્ત હતા. તેમને લાગતું હતું, કે આ વિશ્‍વમાં કેવળ શિવજી જ સર્વસ્‍વ છે. તેથી તેઓ અન્‍ય કોઈપણ ભગવાનના દર્શન કરતા ન હતા અને અન્‍ય ભગવાનને માનતા પણ ન હતા. સંત નરહરી સોનારનો આ સૂક્ષ્મ અહં નષ્‍ટ કરવા માટે શિવકૃપાથી એક લીલા સર્જાઈ. એક વ્‍યક્તિએ શ્રી વિઠ્ઠલને સોનાનો કંદોરો અર્પણ કરવાની બાધા રાખી હતી. તે બાધા પૂરી કરવા માટે તેઓ નરહરી સોનાર પાસે ગયા. આ માટે નરહરી સોનારને પ્રત્‍યક્ષ શ્રી પાંડુરંગના મંદિરમાં જઈને તે મૂર્તિના કમરનું માપ લેવું આવશ્‍યક હતું; પરંતુ નરહરી સોનારની ટેક હતી કે, તે શિવજી સિવાય અન્‍ય કોઈપણ ભગવાનનું દર્શન કરશે નહીં. તેથી તેમણે આંખોપર પટ્ટી બાંધી અને તેઓ શ્રી વિઠ્ઠલના મંદિરમાં ગયા. ત્‍યાં જ્‍યારે તે શ્રી વિઠ્ઠલના કમરનું માપ દોરીથી લેતા હતા, ત્‍યારે તેમને એવો અનુભવ થયો કે, તે શિવપિંડીને જ સ્‍પર્શ કરી રહ્યા છે. એવું ૩-૪ વાર થયા પછી તેમણે આંખો પરની પટ્ટી દૂર કરી, ત્‍યારે શ્રી વિઠ્ઠલ દેખાતા હતા અને આંખો પર પટ્ટી બાંધતા ફરી શિવપિંડી જણાતી હતી. ત્‍યાર પછી તેમને શિવકૃપાથી જ્ઞાન થયું કે, ‘શિવ અને વિષ્‍ણુ (શ્રીવિષ્‍ણુનું એક રૂપ શ્રી વિઠ્ઠલ) એ ભિન્‍ન નથી પણ એકજ છે. ત્‍યાર પછી સંત નરહરી સોનારનો સૂક્ષ્મ અહં ખરી પડ્યો અને શ્રી વિઠ્ઠલ પર ભક્તિ નિર્માણ થઈ.

 

૬. ભક્તિયોગને શ્રીગુરુકૃપાયોગની જોડ આપવાથી ભક્તિમાર્ગી જીવના સંપૂર્ણ જીવનનું પરમકલ્‍યાણ થવું

આવી રીતે ઉપરના ઉદા. પરથી ધ્‍યાનમાં આવે છે કે, ભક્તિમાર્ગી જીવ ભલે ભાવ અથવા ભક્તિના બળ પર ભગવાનની સાથે પ્રત્‍યક્ષ અનુસંધાન રાખીને ઝડપી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરી લેતો હોય, તો પણ ભક્તિમાર્ગીઓનો સૂક્ષ્મ અહંકાર નષ્‍ટ થવા માટે તેના પર  શ્રીગુરુની કૃપા થવી અત્‍યંત આવશ્‍યક હોય છે. તેથી કલિયુગમાં ‘નામ જ એક આધાર’ રહેલો ભક્તિમાર્ગ સાધનાની દૃષ્‍ટિએ ભલે શ્રેષ્‍ઠ હોય, તો પણ એને શ્રીગુરુકૃપાયોગની જોડ મળે, તોજ ભક્તિમાર્ગી જીવ મોક્ષપ્રાપ્‍તિ કરી શકે છે; અન્‍યથા એને ભક્તિનો સૂક્ષ્મ અહં થઈને એની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ રૂંધાય છે અથવા અધોગતિ પણ થઈ શકે છે. આના પરથી કળિયુગમાં ‘શ્રીગુરુકૃપાયોગનું અનન્‍યસાધારણ મહત્ત્વ છે’, એ આપણા ધ્‍યાનમાં આવે છે.

 

૭. અન્‍ય યોગમાર્ગોની તુલનામાં ભક્તિયોગ અનુસાર સાધના કરીને સંતપદ પ્રાપ્‍ત કરનારા અધિક પ્રમાણમાં હોવા પાછળનાં વિવિધ આધ્‍યાત્‍મિક કારણો

આવી રીતે ભક્તિમાર્ગી સાધકનો પ્રવાસ અનેકમાંથી એકમાં થવો (અનેક દેવતાઓની ઉપાસનામાંથી એક દેવતાની ઉપાસના કરવી), સ્‍થૂળમાંથી સૂક્ષ્મ ભણી જવું (કર્મકાંડમાંથી ઉપાસનાકાંડ ભણી અને ઉપાસનાકાંડમાંથી ભક્તિકાંડ ભણી), ભક્તિના માધ્‍યમ દ્વારા મનોલય, બુદ્ધિલય, અહંલય અને ચિત્તલય ઝડપી થવો, સકામ સાધનામાંથી નિષ્‍કામ સાધના ભણી માર્ગક્રમણ કરવું (સાપેક્ષ એટલે ‘સકામ’ ભક્તિ કરતા નિરપેક્ષ અર્થાત ‘નિષ્‍કામ’ ભક્તિ કરવી) અને સગુણમાંથી નિર્ગુણ ભણી જવું (ગુરુ અથવા દેવતાના સગુણ રૂપમાં અટવાયા સિવાય તેમના નિર્ગુણ રૂપ ભણી, અર્થાત તત્ત્વરૂપ ભણી માર્ગક્રમણ થાય છે. બાળકની જેમ ‘નિરાગસભાવ’ અથવા ’ભોળોભાવ’ એ ભક્તિયોગનો સ્‍થાયીભાવ છે. આ ભાવાવસ્‍થામાં ભક્ત બુદ્ધિથી વિચાર કરવાને બદલે  કેવળ ભાવના સ્‍તર પર વિચાર કરતો હોય છે. તેથી તેની વૃત્તિ, વિચાર અને કૃતિમાં કોઈપણ અપેક્ષા હોતી નથી. એની વૃત્તિ, વિચાર અને કૃતિ નિરપેક્ષ અને શુદ્ધ હોય છે. તેથી ભક્તોનો ભોળોભાવ જોઈને ભગવાન તેના પર કૃપા કરીને તેની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરાવી લઈને તેને સંતપદ પ્રદાન કરે છે.

 

૮. શ્રીગુરુચરણોમાં કૃતજ્ઞતા અને પ્રાર્થના

શ્રીગુરુકૃપાથી જ ભક્તિયોગનું આધ્‍યાત્‍મિક સ્‍તરનું અનન્‍યસાધારણ મહત્ત્વ ધ્‍યાનમાં આવ્‍યું’, તે માટે હું શ્રીગુરુચરણોમાં કૃતજ્ઞ છું. ‘અમો અજ્ઞાની જીવો પર શ્રીગુરુની કૃપા આવી રીતે જ અખંડ રહે’, એજ એમના ચરણોમાં વિનમ્ર પ્રાર્થના છે.’

 – કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મ દ્વારા મળેલું જ્ઞાન), (આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૫ ટકા), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. ૮.૬.૨૦૨૩)

Leave a Comment